
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે, એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે. secret donation of one kg gold in Shaktipeeth Ambaji Temple તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે, ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિરનું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલા એક કિલો સોનાનાં બિસ્કિટ્સ ગુપ્તદાન સ્વરૂપે મંદિરના ભંડારમાં આપ્યાં છે.
એક ભક્ત દ્વારા સોનાનાં 10 અલગ અલગ બિસ્કિટ્સ આપવામાં આવ્યાં હતાં, જે ભંડારમાં દાનમાંથી નીકળ્યા છે. અંબાજી મંદિરના ભંડારમાંથી ચૂંદડીમાં પેક કરેલાં 10 અલગ અલગ બિસ્કિટ્સ મળ્યાં છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ કરીને સોનાનાં બિસ્કિટ્સને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યાં છે. 100 ગ્રામનાં અલગ અલગ 10 બિસ્કિટ્સ એક ચૂંદડીમાં પેક કરીને ભંડારમાં ભક્તે ચડાવ્યાં હતાં. બિસ્કિટ્સની અંદાજિત કિંમત 70થી 75 લાખની છે, જે દાન સ્વરૂપે અંબાજી મંદિરમાં આવ્યું છે. દર મંગળવારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવે છે. ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા લેવાય છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. ત્યારે એક દાતાએ 70થી 75 લાખ કિંમતનાં એક કિલો સોનાનાં 10 બિસ્કિટ્સનું દાન કર્યું છે. દાતાએ પોતાની ઓળખને ગુપ્ત રાખી છે. માતાજીનાં દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે.